લેખક રિચાર્ડ ચર્ચના લઘુનિબંધોના એક સંગ્રહમાં સરસ પ્રસંગ આલેખ્યો છે:
એક માણસ સમય વિશે ભારે સભાન. સમયપાલનમાં પાક્કો. ફુરસદના સમયમાં પણ એ નિરર્થક પ્રવૃતિઓ કરવાનું રાખતો. સ્વાભાવિક છે કે એનું ધ્યાન ઘડિયાળના કાંટા પર જ રહે. ટ્રેનમાં મુસાફરી કરતાં એક સ્ટેશને કશુંક લેવા ઊતર્યો. ટ્રેનમાં બેસીને સમય જોવા કાંડા પર નજર કરી તો ઘડિયાળ ન મળે.
સ્ટેશન પર ઊતર્યો ત્યારે ગુમ થયેલી એ ઘડિયાળની કિંમત કરતાં એને સમય જાણવાનું મૂલ્ય વધારે હતું. એક-બે વખત સાથેના ઉતારુને સમય પૂછી લીધો, પરંતુ વારંવાર આવું કરવું પણ તેને યોગ્ય લાગ્યું નહીં. આથી સ્ટેશન આવે ત્યારે ટ્રેનની બારીમાંથી ડોકું બહાર કાઢીને આવતા જતા કુલીને સમય પૂછી લે.
એક સ્ટેશને વિચિત્ર અનુભવ થયો. એક કુલીને સમય પૂછ્યો તો કહે ખબર નથી… આથી ચિડાઈને એ માણસ કહે, “કેમ સ્ટેશન પર ઘડિયાળ નથી?” કુલી કહે, અહીં ઘડિયાળ તો ઘણીય છે, પણ મારે એની સાથે શું લાગે-વળગે? સમય સમયનું કામ કરે છે ને હું મારું કામ કરું છું.”
કુલીની વાત સો ટચના સોના જેવી છે. સમયનું મહત્વ ખરું, પણ સમયની પરાધીનતા રાખવી એ ખોટું. સમય વહેતો રહે છે એ સાચું,પણ સમયને પકડમાં લેવાની વાત ખોટી. મૂળ વાત એ છે કે, “મળેલા સમયનું મૂલ્ય એનો ઉપયોગ કરી જાણવામાં છે, નહીં કે એની પાછળ દોડવામાં……
Nice