એક વખતની વાત છે. એક ખૂબ કીમતી તલવાર હતી. તે તલવાર એક મહાન રાજાની હતી. તે રાજા સ્વભાવે ખૂબ આનંદી અને મોજીલો હતો. તે આજુબાજુના રાજ્યના રાજાઓને આમંત્રણ આપતો અને રોજ મિજબાની કરતો. એક દિવસ અચાનક તે રાજા અને તેના પડોશી રાજા વચ્ચે યુદ્ધની ઘોષણા થઈ.
તે તલવાર યુદ્ધમાં પહેલી વખત ભાગ લેવાના વિચાર માત્રથી ઉત્સાહિત થઈ ગઈ. તે વિચારવા લાગી કે આખા રાજ્યમાં તેની બહાદુરી અને વિશેષતા માટે તે પ્રખ્યાત થઈ જશે.
રણમેદાનમાં આગળ વધતા-વધતા તે કલ્પના કરતી હતી કે જાણે પોતે અનેક યુદ્ધમાં વિજેતા થઈને આગળ વધી રહી છે. પરંતુ જ્યારે તે તલવાર પોતાની સેના સાથે યુદ્ધ મેદાનમાં પહોંચી ત્યારે સાંજ ઢળી ચૂકી હતી અને તે દિવસનું યુદ્ધ વિરામ પામ્યું હતું અને તેની નજર સામે યુદ્ધનું પરિણામ દેખાતું હતું. તલવાર આ દશ્ય જોઈને હેબતાઈ ગઈ. તેણે આવા યુદ્ધની કલ્પના કરી ન હતી. યુદ્ધ મેદાનમાં સૂર્યની રોશની જેવા ચમકતા શસ્ત્રો લઈને કોઇપણ યોદ્ધા ત્યાં પોતાની વિજય ધજા ફરકાવતો ઊભો ન હતો. તેના બદલે ત્યાં તૂટેલા શસ્ત્રો હતા. ભૂખ અને તરસથી તડપતા ઘાયલ સૈનિકો લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. ત્યાં ભાગ્યે જ ખાવા માટે અન્નનો દાણો કે પીવા માટે પાણી રહ્યું હતું. બધુ જ ધૂળ અને માટીમાં રગદોળાઈ ગયું હતું અને અસહ્ય દુર્ગંધ મારતી હતી.
આવું હ્રદય દ્રવી ઊઠે એવું દ્રશ્ય જોઇને તલવારને ખ્યાલ આવ્યો કે તેણે આવા યુદ્ધની કદી પણ કલ્પના કરી ન હતી અને તેને આવું યુદ્ધ પસંદ પણ ન હતું.
આ દશ્ય જોઇને તેણે નિર્ણય લીધો કે આવા હ્રદય દ્રાવક યુદ્ધમાં ભાગ લેવા કરતા કોઈ રમત-ગમતની પ્રતિયોગીતામાં ભાગ લઈને શાંતિથી રહેવાનું પસંદ કરશે. આમ તે રાતે તલવાર યુદ્ધમાં કેવી રીતે ભાગ ન લેવો તેનો વિચાર કરવા લાગી. અચાનક થોડીવાર પછી તે તલવાર કાંપવા લાગી. પહેલા તે ધીરેથી કાંપતી હતી પણ એકદમ તેનું કંપન તેજ થવા લાગ્યું. થોડાજ સમયમાં આ ધ્વનિ એટલો કર્કશ થઈ ગયો કે એ આવાજ કોલાહલમાં બદલાઈ ગયો. આવો અવાજ સાંભળીને બીજા બધા સૈનિકોની તલવાર અને કવચો તે તલવારને પૂછવા લાગ્યા કે તું શું કરે છે?
તલવારે જવાબ આપ્યો, “મને યુદ્ધ જરા પણ પસંદ નથી.” એક તલવારે જવાબ આપ્યો.” યુદ્ધ તો અમને પણ પસંદ નથી પરંતુ અમે શું કરીએ?” તલવારે તરતજ જવાબ આપ્યો. “તમે બધા પણ મારી જેમ કાંપવાનું શરુ કરી દો અને આપણે બધા સાથે મળીને એટલો અવાજ કરશું એક પણ સૈનિક આખી રાત સૂઈ નહીં શકે.”
રાજાની તલવારની વાત સાંભળીને બધી તલવાર પ્રભાવિત થઈ ગઈ અને તેઓ એ પણ કાંપવાનું શરૂ કરી દીધું અને અવાજ એટલો તેજ થઈ ગયો કે એ અવાજ શત્રુઓના પડાવ સુધી પહોંચી ગયો. શત્રુઓના શસ્ત્રોને પણ યુદ્ધ પસંદ ન હતું. એ શસ્ત્રોએ પણ આ અવાજમાં ભાગ લીધો.
બીજે દીવસે સવારે એક પણ સૈનિક યુદ્ધમાં ભાગ લેવા માટે તૈયાર ન હતો. બધા જ બહુ થાકેલા હતા.
આગલી રાતના શસ્ત્રોના અવાજથી કોઈપણ સૈનિકને ઊંઘ નહોતી આવી. રાજાઓ અને સેનાપતિઓએ યુદ્ધને એક દિવસ માટે વિરામ આપ્યો. પરંતુ જેવી રાત પડી કે બન્ને રાજ્યોના શસ્ત્રોએ ફરીથી અવાજ કરવાનો શરૂ કર્યો. આ રીતે લગાતાર ૭ દિવસ સુધી રાતના અવાજ ચાલુ રહ્યો. સાતમાં દિવસે બન્ને રાજાઓએ મળવાનું નક્કી કર્યું. બન્ને રાજાઓ શરૂઆતમાં તો દલીલ ઉપર ઉતરી પડ્યા અને ક્રોધે ભરાયા. પરંતુ થોડો સમય સાથે વિતાવ્યા પછી બન્ને રાજાઓ પોતાના સૈનિકોના દુઃખી ચહેરા, તેમના ઉજાગરા, સૈનિકોની લોહી લુહાણ હાલત, આ બધી વાતો કરવા લાગ્યા. બન્ને રાજાઓ વાતોમાં એવા મશગુલ થઈ ગયા કે બન્નેની દુશ્મનાવટ ક્યારે મિત્રતામાં ફેરવાઈ ગઈ તેમનો તેમને ખ્યાલ પણ ન રહ્યો અને બન્ને જણ મજાક મસ્તીના મૂડમાં આવી ગયા.
થોડીવારમાં જ બન્ને રાજાઓએ પોતાની દુશ્મનાવટ ભૂલાવીને યુદ્ધને વિરામ આપવાની ઘોષણા કરી દીધી. બન્ને રાજાઓએ પોતાની મિત્રતા જાહેર કરી અને ખુશીથી પોતાના રાજ્ય તરફ પાછા વળ્યા.
એ દિવસ પછી બન્ને રાજાઓ અવાર-નવાર મળતા અને રાજા બન્યા પછીના અનુભવોની ચર્ચા કરતા અને મિજબાની માણતા. ગાઢ મિત્રતા થયા પછી તેઓને ખ્યાલ આવ્યો, “સંપ ત્યાં જંપ.”
યુદ્ધ કરવું એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. બધાને શાંતિ, ખુશી અને આનંદ જોઈએ છે, જે અહિંસા જેવા શક્તિશાળી સાધનથી મળે છે.