આપણા અતિ પ્રાચીન મહાકાવ્ય, મહાભારતમાં કુરુક્ષેત્રના ધર્મયુદ્ધનો દિવસ ઉગ્યો. કૌરવસેના અને પાંડવસેના યુદ્ધ માટે તૈયાર હતી.શ્રી કૃષ્ણ જેમણે પાંડવસેનાના સેનાપતિ અર્જુનનો રથ હાંકવાની જવાબદારી સ્વીકારી હતી, તેમને અર્જુને પોતાનો રથ યુદ્ધભૂમિની વચમાં લઇ જવાની વિનંતિ કરી. યુદ્ધભૂમિમા કૌરવસેના પર નજર પડતા,અર્જુને કૌરવોના સેનાપતિ દાદા ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, ગુરુબંધુ અશ્વત્થામા, પિતરાઈ ભાઇઓે દુર્યોધન વગેરેને જોયા. બધા સ્વજનોને જોતા જ અર્જુનનો યુદ્ધ કરવાનો વિચાર ડગમગી ગયો.અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું , ” બધા સ્વજનોનો સંહાર કરીને મેળવેલા રાજ્યમાં શું અમે સુખ, શાંતિ અને આનંદથી રહી શકીશું” ? અર્જુન મૂંઝવણભરી અને વિષાદગ્રસ્ત અવસ્થામાં મુકામ ગયો અને હથિયારો હેઠા મૂકી દીધા.
શ્રી કૃષ્ણે અર્જુનને સમજાવ્યું, ” અણીના સમયે શસ્ત્રો હેઠા મૂકવા એ કાયરતાની નિશાની છે.કાયરતા દર્શાવવાથી તમારી અને તમારી ભાવિ પેઢીઓની માનહાનિ થશે“. શ્રી કૃષ્ણે અર્જુનને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો. સ્વજનોના લોહીના રંગે પોતાના હાથ રંગાઈ જશે એ વિચારમાત્રથી શ્રી કૃષ્ણનાં વચનો પણ અર્જુનને પ્રોત્સાહિત કરી શક્યા નહિ.
તે ક્ષણે શ્રી કૃષ્ણે અર્જુનને જીવન મૃત્યુના તત્ત્વજ્ઞાન વિષે વિસ્તારથી સમજાવ્યું, જે ” ભગવદ્ગીતા ” નામથી પ્રસિદ્ધ થઇ. આત્માનું અમરત્વ, ધર્મનું આચરણ, કર્મનો સિદ્ધાંત વગેરે વિષયોનું વિવરણ કર્યું. ધર્મના આચરણમાં વિઘ્ન નીવડતી દયા, કરુણામાંથી બહાર નીકળી યુદ્ધમાં પ્રવૃત થવું એ જ ધર્મ છે કહી અર્જુનને વિષાદમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો.
અર્જુન હજુ પણ વિષાદમુક્ત ન થઇ શકયો.શ્રી કૃષ્ણ સમજાવે છે, ” જે જન્મ લે છે અને મૃત્યુ પામે છે તે શરીર છે. શરીર કાયમી નથી, પળેપળે બદલાય છે. બાળપણ, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, મૃતાવસ્થા. જર્જરિત શરીરને છોડી દે છે તે આત્મા છે. આત્મા અમર છે, મરતો નથી , તે હતો, છે અને રહેશે. માણસો જેમ જુના વસ્ત્રો બદલી નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ આત્મા પણ જર્જરિત કાયા છોડી નવું શરીર ધારણ કરે છે.આત્મા માટે જન્મ મૃત્યુ નથી, આત્મા અમર છે.
જીવનમાં સુખદું:ખ આનંદ શોક આવે છે અને જાય છે, કાયમી નથી. બધાનો સામનો કરવો પડે છે, એમાથી છૂટી શકાતુ નથી. શરીર બધા ભોગો ભોગવે છે,આત્મા દુન્યવી પરિબળોથી અલિપ્ત છે.જ્ઞાની માણસો મૃત્યુના ભ્રમમાં રહેતા નથી.
બોધ: યુદ્ધભૂમિ એટલે શસ્ત્રોથી લડવાની રણભૂમિ જ નહિ . સંસારમાં માણસોના મગજમાં નિરંતર હકારાત્મક અને નકારાત્મક વિચારોનું યુદ્ધ ચાલુ હોય છે.આપણી મહત્વકાંક્ષાઓ અને ઇચ્છાઓ,ફરજો, ઋણ સ્વ પ્રત્યે,કુટુંબ પ્રત્યે અને સમાજ પ્રત્યે, એની સામે બાહ્ય દુનિયાના પ્રલોભનો, નકારાત્મક વિચારો વગેરેનુ યુદ્ધ ચાલ્યા કરે છે.ઘણી વાર આપણી સામે ઊભા થતા અગણિત પ્રશ્ર્નોથી મૂંઝાઉં જઇએ છે. નિર્ણયાત્મક ઘડી આવે ત્યારે મગજમાં પોતાની ઇચ્છાઓ, સ્વજનો પ્રત્યેની ફરજો,આપણા વ્યવહારથી ઉત્પન્ન થતી પિરિસ્થિતિ અથવા બીજા લોકોની પ્રતિક્રિયા વગેરે દ્વારા મનમા મૂંઝવણ થાય છે અને મગજને લકવો લાગી ગયો હોય તેમ કામ કરવાનું બંધ કરી દે છે. તે સમયે એક જ્ઞાની ગુરુની જરુર પડે છે જે સત્ય અને ભ્રમ વચ્ચેનો ભેદ સમજાવી શકે અને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડી શકે.
મોહ અને અહંકાર આપણી લાગણીઓ પર કબજો જમાવી લે છે. સૂર્ય પ્રકાશને જેમ વાદળ ઢાંકી દે છે તેમ આપણી બુદ્ધિને મોહ અને અહંકાર ઢાંકી દે છે અને સત્ય વિચારવાની શક્તિ નાશ પામે છે.લોકોને એમની ઉપરછલ્લી વર્તણૂક દ્વારા મિત્ર કે દુશ્મન બનાવીએ છે. આપણી અપેક્ષાઓ અને વિચારશ્રેણી આપણું વ્યક્તિત્વ ઘડે છે. પરિસ્થિતિ અપેક્ષાઓ પ્રમાણે ન થતા દુ:ખ અનુભવીએ છે.આપણા મંતવ્યો ,આશાઓ જ સત્ય છે એવા ભ્રમમાં રહીને બીજાની દ્રષ્ટિથી જોવાનું ભૂલી જઇએ છે.આ ભ્રમણામાથી બહાર નીકળવા શ્રી શંકરાચાર્ય, સર્વમા એક અને તે જ ભગવાન છે,એવી દ્રષ્ટિ કેળવવાની સમજ આપે છે.